Archive

Archive for the ‘ખંડ–1 : બ્રાહ્મણત્વ,’ Category

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-05)

February 12, 2009 KANTILAL KARSHALA 1 comment

વેદોનો દિવ્ય સંદેશ

આ સંસારમાં ઉન્નતિ તે લોકો કરે છે, જે પરમાત્મા અને વિદ્વાનોને પ્રેમ કરે છે, સત્યકર્મી, જ્ઞાની અને જીતેન્દ્રિય હોય છે. અત્યાર સુધી એમ જ થયું છે અને હવે પછી પણ એમ જ થશે.

 

 

सत्यं बृहद्दतम्ग्ने दीक्षा तपो ब्रहम यश: पृथिवीं धारयन्ति  |

सा नो भूतस्य भव्यस्य प्ल्युरुं लोकं पृथिवी : कृणोतु   (अथर्ववेद  12 /1/1 )

 

સંદેશ :- ઉન્નતિ કોણ કરે છે? બહુ રૂપિયા, ધન એકઠું કરવું, બંગલા-મકાન, કારને સુખ સગવડની સાથે વસ્તુઓનો ઢગલો કરી લેવો. આજકાલ લોકો તેને ઉન્નતિ સમજેછે. અનીતિપૂર્વક સંપત્તિ કમાવવાની ચડસાચડસી  શરૂ થઈ છે.

        જયારે માનવી અને રાષ્ટ્ર બંને સાથે સાથે યશસ્વી હોય ત્યારે ઉન્નતિ થાય. રાષ્ટ્રની ઉન્નતિ માટે, તેને શક્તિશાળીઅને  ગૌરવપૂર્ણ બનાવવા માટે જરૂરી છે કે દેશના નાગરિકો તપસ્વી બને. કોઈ શ્રેષ્ઠ લક્ષ્યની પૂર્તિ માટે વચ્ચે આવનારી બધી મુશ્કેલીઓને ધૈર્યપૂર્વક સહન કરતા આગળ વધવાનું નામ તપ છે. યક્ષે યુધિષ્ઠિરને તપનાં લક્ષણો પૂછયાં હતાં તો તેઓએ કહેલું તપ: સ્વકર્મવર્તિત્વમ્ પોતાના કર્તવ્યને એકનિષ્ઠ થઈને પાલન કરવાનું નામ તપ છે અને તપનો સાર છે જીતેન્દ્રિયતા.ઈન્દ્રિનિગ્રહના અભાવમાં ઉન્નતિની કલ્પના થઈ શકે નહીં. જ્યાં સુધી માયા, મોહ, લોભ,સ્વાર્થ ઉપર વિજય મેળવીને રાષ્ટ્રહિતની ભાવના બળવાન થતી નથી, ચારેબાજુ લૂંટફાટનું વાતાવરણ બની રહેશે,ત્યાં સુધી માનવી સુખશાંતિથી ઘણે દૂર મૃગજળની જેમ ભટકેલો રહેશે.

ઉન્નતિ માટે સૌથી જરૂરી છે મહાન સત્યને જાણીને સત્યાચરણની દીક્ષા લેવી તે છે. એ નિર્વિવાદ સત્ય છે કે સમગ્ર બ્રહ્માંડ પરમેશ્વરે પ્રગટ કર્યું છે, તે તેના કણે કણમાં હાજર છે  અને કરોડો વર્ષોથી તેને ગતિ આપે છે. આપણે પણ તે પરમેશ્વરના અંશ છીએ અને આપણાં કર્મોના જમા-ઉધાર તે પૂરી ઈમાનદારીથી રાખે છે અને તેમની ન્યાયકારી સત્તા કર્મફળને  નક્કી કરે છે. આ જ્ઞાન આપણને સંયમની પ્રેરણા  આપે છે અને આપણા આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે.

ઈન્દ્રિયનિગ્રહ અને સત્યાચરણનો લાભએ થાય છે કે માનવી પોતાના શુદ્ર સ્વાર્થભાવનો ત્યાગકરી લે અને દેશવાસીઓમાં રાષ્ટ્રભાવ જાગૃત થાય છે. બધા નાગરિકો બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજીને તેના નિવારણમાં સહયોગ કરવા લાગે છે અને પરસ્પર એકબીજાની ઉન્નતિના સશકત આધાર બની જાય છે. સમગ્ર રાષ્ટ્રમાં આત્મીયતાની ભાવના બળવત્તર બને છે અને ત્યારે દેશમાં બળમ્ ઓજશ્વ જાતમ્ પ્રાણશક્તિનો સંચાર કરે છે. જે રાષ્ટ્ર અને રાષ્ટ્રના બધા નાગરિકો ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી હોય છે, તેની આ ઉન્નતિની સમક્ષ સંસારના સારા સારા શક્તિશાળી રાષ્ટ્રો ઘૂંટણ ટેકવીને નતમસ્તક થઈ જાય છે.

બીજનું શું મહત્વ છે? તે કોથળામાં બંધ ઘરના એક ખૂણામાં પડી રહે છે ત્યારે કશી કિંમત નથી હોતી. જ્યારે તેને ખેતરમાં વાવવામાં આવે છે ત્યારે થોડા સમયમાં તે એક વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થાય છે. આ માટે તેને જાતે ઓગળવું પડે છે અને ખાતર પાણીના રૂપમાં સમાજને સહયોગ લેવો પડે છે. પોતાના સ્વાર્થભાવનો ત્યાગ અને સમાજનો આત્મિક સહયોગ, બંને મળીને ઉન્નતિના સુવર્ણમય સોપાનનું નિર્માણ કરે છે.  કોઈ એમ સમજે કે તે એકલું જ બધું કરી શકે છે, તો તે તેનો ખોટો ભ્રમ છે. બીજાના સહયોગ સાથે જાતે તપ અને સાધનાના કષ્ટ સહન કરતાં જ માનવી ઉન્નત્તિના માર્ગે ઉપર આગળ વધતો જાય છે.

આ પરમ પિતા પરમેશ્વરનું પોતાના પ્રિય પૂત્રોને સૂચન છે. તેને માટે તેઓએ સર્વગુણયુક્ત માનવ શરીરની રચના કરી છે અને તેને પોતાની બધી શક્તિઓથી વિભૂષિત કર્યો છે. દરેક સમયે તે તેઓને મદદ કરવા મળી રહે છે  પણ શરત એ છેકે માનવીએ નિ:સ્વાર્થ ભાવથી પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. ઉન્નતિ માટે ઈશ્વરની સત્તામાં  પૂર્ણ વિશ્વાસ રાખીને પોતાની પૂર્ણ ક્ષમતા અને પ્રતિભાનું નિયોજન લોકહિતનાં કામો માટે કરવું જ જીવનનું મુખ્ય લક્ષ્ય છે.

વિદ્ધાનોની એ જવાબદારી છે કે તેઓ સમાજને ઉન્નતિના એ સત્યમાર્ગ ઉપર આગળ ધપાવવા પ્રેરિત કરે.  તેમ કરવાથી જ બ્રાહ્મણત્વનો નિર્વાહ થઈ શકશે.

 

 

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-04)

વેદોનો દિવ્ય સંદેશ

અમારા શિક્ષક, નેતા અને અધિકારી બ્રહ્મચારી હોય, તેઓ ચારિત્ર્યભ્રષ્ટ ના હોય, નહીં તો બીજી રીતે અનર્થમૂલક અસામાજિક તત્વોનો વિકાસ થશે અને રાષ્ટ્ર  પતિત થઈ જશો.

आचार्यो ब्रह्मचारी ब्रह्मचारी प्रजापति: |

प्रजापतिर्वि राजति विराडिन्द्रोड भवद्द वशी   (अर्थवेद  11 /5/16 )

સંદેશ :- કોઈ પણ પ્રકારની સામાજિક વ્યવસ્થા હોય, ધીરે ધીરે તેમાં કુવિચારો, સ્વાર્થ અને દુષ્પ્રવૃત્તિઓ પોતાનું માથું ઉઠાવવા લાગે છે. વેદ ભગવાને વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણો ઉપર એ જવાબદારી નાખી હતી કે તેઓ હંમેશાં જાગૃત રહી રાષ્ટ્રને  જાગૃત રાખશે અને ખરાબીઓથી બચાવશે.

        રાષ્ટ્રને ચલાવનારા શિક્ષક, નેતા અને અધિકારી હોય છે. તેઓ જે રાષ્ટ્રનાયક કહેવાય છે. આજે ત્રણેય કેટલા સ્તર સુધી સ્વાર્થમાં આંધળા બનીને રાષ્ટ્રને અને સ્વયં પોતાને પતનની ખાડીમાં પાડી દીધા છે, એને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. મોટાભાગના શિક્ષકો ફક્ત પૈસા એકઠા કરવામાં લાગેલા છે અને શિક્ષણનાં પવિત્ર જ્ઞાન મંદિરો આજે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને વ્યભિચારના અડ્ડા બની ગયાં છે. સ્કુલ અને કોલેજોમાં દરેક  પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ, દાદાગીરી, જુગાર, શરાબખોરી, નશાખોરી, બળાત્કાર વગેરે આજે સાધારણ વાત થઈ ગઈ છે. શિક્ષકો ચારિત્ર્યહીન થવાને પરિણામે વિદ્યાર્થીઓ ફકત અનર્થકારી અસામાજિક જ્ઞાન મેળવે છે અને ખોટા માર્ગે ચાલીને પોતાનું અને દેશનું ભવિષ્ય બગાડી રહ્યા.

        આ ચારિત્ર્યહીન અને ભ્રષ્ટ વિદ્યાર્થીઓ મોટા થઈને નેતા અને અધિકારી બને છે અને પોતાના ગુરુઓના પણ ગુરુ સાબિત થાય છે. પોતાનું જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા,  બુદ્ધિ બધાનો ઉપભોગ ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ માટે જ કરેછે. તેમના હ્રદયમાં ન તો માતૃભૂમિ માટે શ્રદ્ધા છે ન તો રાષ્ટ્રભક્તિની ભાવના છે. આવા નેતાઓ અને અધિકારીઓની આડમાં ગુનાહિત અને અસામાજિક તત્વો નિર્ભય થઈને દેશ અને જનતાને લૂંટતો રહે છે.

            તેઓના વિવેકહીન આચરણથી જનતંત્રમાં જનતાની કેવી દુર્દશા થઈ રહી છે એ પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભોળીભાળી જનતા આ અક્ષમ શિક્ષકો, નેતાઓ અને અધિકારીઓના દુરાચાર સહન કરવા માટે વિવશ બની છે. ભ્રષ્ટાચારી  અને ચારિત્ર્યહીનતા આજે ચરમ સીમા પર પહોંચ્યાં છે. દરેક માણસ કોઈને કોઈ પદ પર પહોંચી જવા ઈચ્છે છે. આ કામ માટે દરેક પ્રકારના કનિષ્ટ સ્તરના અપરાધીઓનો સહકાર લેવામાં આવે છે. ભોળીભાળી જનતાને સામ, દામ, દંડ, ભેદથી કોઈ પણ રીતે વશમાં કરવા માટે ષડયંત્ર ખુલ્લેઆમ રચે છે. લોકોનું એટલું બધું આધ્યાત્મિક પતન થઈ  રહ્યું છે કે,તેઓ કોઈ પણ પ્રકારે સત્તા હાથમાં લેવા કુચક્રો રચતા રહે છે અને સત્તા મળ્યા પછી તેનો એવો નશો ચઢે છે કે રાવણનું કદ પણ તેઓની આગળ નાનું લાગે.

        ઋગ્વેદમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ દેવાનામ ભવ: કેતુરગ્રે ફકત શ્રેષ્ઠ માણસ જ જનતાનો નેતા થાય.નેતૃત્વ ક્યારેય ચારિત્ર્યહીન લોકોના હાથમાં જવા દેવું જોઈએ નહીં. આ બ્રાહ્મણોનું કર્તવ્ય હતું. પરંતુ આજે તેઓ પોતે જ ચારિત્ર્યહીન અને ભ્રષ્ટ થઈ ગયા છે તથા દેશને પતિત કરી રહયા

       પ્રત્યેક જાગૃત નાગરિકનું કર્તવ્યછે કે તે  સાચો બ્રાહ્મણ બને.

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-03)

વેદોનો દિવ્ય સંદેશ

 અમારું હ્રદય, મન અને સંકલ્પ એક જ હોય, જેનાથી અમારું સંગઠન ક્યારેય બગડે નહીં.

સમાની વ આકૂતિ: સમાના હ્રદયાનિ હ: |

સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ॥

(ઋગ્વેદ  10 /191/4 )

સંદેશ :- સંગઠન, સહયોગ અને મૈત્રીભાવ સ્વસ્થ સમાજનું આવશ્યક અંગ છે. સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. મૂર્ખ-વિદ્ધાન, રોગી-સ્વસ્થ, નાસ્તિક-આસ્તિક, ભોગી-ત્યાગી વગેરે પરસ્પર વિરોધી પ્રકૃતિના માણસો ચારેબાજુ દેખાય છે. દરેક માણસનો દ્રષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર જુદા જુદા હોય છે. એટલે બધાનું વિચારવાનું એક પ્રકારનું હોતું નથી. એટલે એ જરૂરી છે કે દરેક માણસ બીજાના પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર હોય. જરા પણ મતભેદ રાખનારાને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ અથવા વિરોધી માની લેવો યોગ્ય નથી. સહિષ્ણુતા જ સંગઠનનો પ્રાણ છે, તેના આધાર ઉપર સમાજમાં બધાનાં હ્રદય, મન અને સંકલ્પ એક જ દિશામાં ચાલે છે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.

અસહિષ્ણુતાથી સમાજમાં ઠગાઈ, વિશ્વાસઘાત, ક્રોધ, વેરઝેર વગેરે બુરાઈઓ જન્મે છે અને અરાજક્તાનું વાતાવરણ બની જાય છે. ચારે બાજુ દાદાગીરી, ગુંડાગીરી, લુચ્ચાઈ, પ્રપંચનો ભય સમાજમાં ફેલાય છે. જનજીવન અસુરક્ષિત અને અશાંત થઈ જાય છે. આજે બધી બાજુ આ જોવા મળે છે.

સંગઠનનો અત્યંત સુંદર આદર્શ આપણને ભગવાન શિવશંકરના જીવનમાં મળે છે. આંધળા, લંગડા, કોઢવાળા, રોગી બધાને એકસરખા માનીને પોતાની સાથ રાખવાનું તેઓમાં સામર્થ્ય હતું. સર્પના જેવા બીજાને ડસીને તેનું અહિત કરવાની કુભાવનાથી ઘેરાયેલા લોકોને તેઓએ પોતાના વશમાં રાખ્યા હતા અને પોતાના ગળાનો હાર બનાવેલ. આ રીતે વિવિધ અને વિપરિત પ્રકૃતિના માણસોને એક સૂત્રમાં બાંધી સમાજ માટે ઉપયોગી બનાવવાનો સંકલ્પ તેમણે ચરિતાર્થ કર્યો હતો. પોતે નગ્ન રહ્યા, ભસ્મ લગાવતા રહ્યા, પોતાની જરૂરિયાતોને ન્યૂનતમ રાખી, બધાના કલ્યાણાર્થે વિષ પીધું અને સાથે સમાજના દરેક વર્ગમાં સહયોગ, સહકાર અને સહિષ્ણુતાની ભાવનાને પ્રતિષ્ઠાપિત કરી.

સમાજ અને કુટુંબની સર્વતોમુખી પ્રગતિ માટે એ જરૂરી છે કે લોકો બીજાના વિચારોને મહત્વ આપે, સારી વાતોને માને અને ખોટી વાતોનો પ્રતિકાર કરે. પોતાનું સન્માન અને સહિષ્ણુતામાં સંગઠનની શક્તિ સમાયેલી છે.

આપણે જોઈએ છીએ કે ચોર, ડાકુ, બદમાશ, પોતાનું સંગઠન કેટલું સુદ્રઢ રાખે છે. કોઈપણ કશા જ પ્રકારનો મતભેદ કરતા નથી અને એકે કહી દીધું તે બીજા જીવનપર્યંત પૂરું કરે છે. કારણ એ હોય છે કે તેઓને પોતાના નેતાનો ભય રહે છે. જો તેઓ વિરોધ કરે, અસહયોગ કરે, તો સરદાર જાનથી મારી નાખે છે. આપણે પોતાના નેતાને, સરદારને બિલકુલ ભૂલી ગયા છીએ. આપણા નેતા અને સરદાર છે સર્વશક્તિમાન પરમેશ્વર. તે દંડ આપી શકે છે, આપે પણ છે. આ હકીકત બાજુ પર રાખવાથી સંસારમાં ઘણી ખરાબીઓ જન્મ લે છે અને ફૂલેફાલે છે

આપણા વિદ્ધાનોમાં અને સમજદારોમાં બ્રાહ્મણત્વની ઓછપ આવવાથી જ આ પરિણામ આવ્યું છે.

વેદોનો દિવ્ય સંદેશ બ્રાહ્મણત્વ-02

વેદોનો દિવ્ય સંદેશ

 વેનસ્તત્પશ્યન્નિહિતં ગુહા સધત્ર

વિશ્વં ભયત્યેકનીડમ્ |

તસ્મિન્નિદ ગુમ્ સં ચ વિચૈતિસર્વ ગુમ્,

       સદઓત: પ્રોતશ્ચ વિભૂ: પ્રજાસુ ॥

(યજુર્વેદ 32/ 8 )

વિદ્ધાન લોકો પોતાના જ્ઞાનથી, ચિંતન-મનનથી અને અનુભવથી તે જાણી લે છે કે પરમાત્મા પ્રત્યેક પદાર્થમાં છુપાયેલા છે. તે સમગ્ર જગતને આશ્રય આપનારા છે. ઈશ્વર દ્વારા સમગ્ર સૃષ્ટિ તેમજ પ્રાણીઓની રચના થઈ છે અને પ્રલયકાળમાં તેઓ સૃષ્ટિમાં સમાઈ જાય છે.

સંદેશ :- સંસારમાં આસ્તિક અને નાસ્તિક બધા પ્રકારના લોકો છે. જે અનીશ્વરવાદી છે, તે પણ આ વાતને માને છે. જે કોઈ શક્તિ છે જે આ સમગ્ર સંસારને, લાખો-કરોડો બ્રહ્માંડોને એક નિશ્ચિત લયથી ચલાવી શકે છે. બુદ્ધિ અને તર્કની કસોટી ઉપર પારખવામાં આવે અથવા શ્રદ્ધા અને વિશ્વાસના આધાર ઉપર માનો, ઈશ્વરની સર્વવ્યાપક્તામાં કોઈ શંકા હોઈ શકતી નથી. તે પ્રત્યક્ષ દેખાતા નથી પણ દરેક સ્થિતિમાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. શરત ફક્ત એ છે કે તર્ક-કુતર્કના દુરાગ્રહમાં ફસાઈને આપણે સત્યને જુઠ્ઠું બતાવવાનો પ્રયાસ કરીએ નહીં. ઈશ્વરા સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલા છે. આ સમગ્ર વિશ્વર તેનોનું રૂપ છે. પુરુષ એવેદ ગુમ્ સર્વમ્

આ રીતે ભગવાનની દરેક જગાએ હાજરી હોવાનો સ્વીકાર કરી લેવાથી માનવીના આત્મબળમાં વધારો થાય છે. દરેક સમયે એક શક્તિશાળી, સમર્થ મિત્ર અને સહાયકના સાનિધ્યમાં રહેવાથી પ્રતિભા, ક્ષમતા અને પૌરુષત્વમાં જાગૃતિ આવે છે અને સારા કામો માટે મનની પ્રવૃત્તિ વધે છે. ઈશ્વરીય સત્તાના દિવ્ય પ્રકાશથી રક્ષિત થઈને માનવી પોતે જ પાપકર્મોથી બચી જાય છે. તેને એ ભાન રહે છે કે તે પરમાત્માની દ્રષ્ટિથી દૂર નથી અને તેણે દરેક સારા-ખરાબ કર્મનું ફળ અવશ્ય મળશે. આ રીતે જ્યારે એક બાજુ માનવી સત્કર્મોમાં પ્રવૃત્ત રહે છે, ત્યારે દુષ્પ્રવૃત્તિઓંથી તે બચતો રહે છે અને દેવતા બનવાના માર્ગે આગળ વધતો જાય છે.

સંસારમાં દરેક વસ્તુ કોઈના કોઈ આધારે ટકેલી રહે છે. આ આધાર નાનો અને તકલાદી હશે તો તે વસ્તુની સ્થિતિ ડામડોળ અને અસ્થિર રહેશે. આ આધાર સબળ અને મજબૂત હશે તો તે વસ્તુ ટકાઉ અને સ્થિર રહેશે. સર્વવ્યાપી પરમેશ્વરને પોતાનો આધાર બનાવનારા હંમેશા નિશ્ચિત રહે છે. માયા મોહ, લોભ, અહંકાર વગેરે ઝંઝાવાતો પણ તેને ડગાવી શકશે નહીં. તેને હંમેશા પોતાના હ્રદયમાં ઈશ્વરના દર્શન થતાં રહે છે. તે પરમ પિતા પરમેશ્વરનો જ સૂક્ષ્મ અંશ આપણો આત્મા છે. તેનાથી જ આ શરીરમાં ચેતનાનો પ્રવાહ હોય છે. શક્તિનો અખૂટ ભંડાર આપણા પોતાનામાં જ હાજર છે પણ આપણે અજ્ઞાનવશ આ હકીકતને જાણી શકતા નથી અને હંમેશા પોતાના દુર્ભાગ્યનાં રોદણાં રડ્યા કરીએ છીએ. જયારે આપણે પોતાનામાં રહેલા જ્ઞાનથી, અનુભવથી અને વિવેકબુદ્ધિથી ચિંતન કરીએ છીએ તો આપણને પોતાની અંદર પરમાત્માની અસીમ શક્તિની અનુભૂતિ થાય છે. આ શક્તિ આપણા આત્મબળને વધારે છે અને જીવનપથની મુશ્કેલીઓ ઉપર વિજય મેળવવાનો માર્ગ સરળ થઈ જાય છે. દરેક વખતે દયાળુ પિતાનો હાથ આપણી ઉપર રહે છે અને આપણું રક્ષણ કરતા રહે છે.

સર્વ શક્તિમાન પરમેશ્વરનો આશ્રય જ સાંસારિક તાપોથી મુક્તિ અપાવી શકે છે.

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-01)

January 7, 2009 KANTILAL KARSHALA 2 comments

વેદોનો દિવ્ય સંદેશ

ઈન્દ્રં મિત્રં વરુણમગ્નિમાહુરયો 

              દિવ્ય: સ સુપર્ણો ગરુત્માન્ |

       એકં સદ્દવિપ્રા બહુધા વદન્તિ,

              અગ્નિ યમં માતરિશ્વાનમાહુ: ॥

(ઋગ્વેદ 1/164/46) 

પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાના નામથી ઓળખવામાં આવે છે, પણ તે એક જ છે. એટલે ગુણ, કર્મ, સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરો. 

સંદેશ :- પરમ પિતા પરમેશ્વર સર્વત્ર ફેલાયેલા છે. આ વિશાળ સંસાર, અંતરિક્ષ, હજારો બ્રહ્માંડ, એ બધાના કણે કણેમાં ઈશ્વરની અસીમ સત્તા હાજર છે. તે આ બધાના નિયંતા છે, નિયામક છે. ઈશા વાસ્યમિદં સર્વમ્  દરેક વસ્તુમાં, જડચેતનમાં, આપણા રોમરોમમાં ઈશ્વરનો વાસ છે. તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી પણ તે આપણી પ્રાણશક્તિ છે. સતાં, જાગતાં, દરેક સમયે તે આપણી સાથે છે, આપણી પ્રાણશક્તિ છે. સૂતાં, જાગતાં, દરેક સમયે તે આપણી સાથે છે, આપણી અંદર, બહાર અને ચારેબાજુ પણ રહે છે. જેમ રબરના ફુગ્ગામાં હવા ભરેલી હોય છે, ફુગ્ગાની અંદર હવા છે, બહાર પણ છે અને ચારે બાજુ પણ છે, પણ તે આપણને દેખાતી નથી. જેમ દુધના પ્રત્યેક ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે તે રીતે ઈશ્વર પણ સર્વવ્યાપક છે. સંસારના ખૂણેખૂણે, બધા જીવજંતુઓમાં, પશુ-પક્ષીઓમાં બધાં પ્રાણીઓના રોમેરોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે. તેને માટે નાત-જાત, પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણનો કોઈ ઝગડો નથી. બધા તેઓને માટે એકસરખા છે.

આ સર્વવ્યાપક પરમેશ્વરની અનેક શક્તિઓ છે, જેને સંસારના જુદા જુદા મત ધરાવનારા જુદા જુદા નામે ઓળખાવે છે. બધા માનવીના પરમ પિતા પરમેશ્વર એક છે. તે ઈન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ, યમ, બધું જ છે. તેને રામ કહો કે કૃષ્ણ, દુર્ગા કહો કે કાળી, શિવ કહો કે શંકર, અલ્લાહ કહો કે ગોડ નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્વ છે. તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા, તે પ્રમાણે આચરણ કરવું જીવનમાં વ્યવહાર કરવાની વાતને જ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે. આ રીતે ઉપાસના કરવાથી વારંવાર અભ્યાસથી તે ગુણ મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમેક્રમે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતાં દેવત્વની તરફ આગળ વધે છે.

પરમાત્માનાં અલગ અલગ નામોને લીધે ઝગડો કરવો એ સૌથી મોટી મૂર્ખતા છે. એકં સદવિપ્રા બહુધા વદંતિ. એક જ પરમેશ્વરને વિદ્ધાન લોકો જુદા જુદા નામે બોલાવે છે. તેઓનું કોઈપણ નામ લો, પણ તેઓને પોતાના કર્મ અને સ્વભાવનું એક અવિભકત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો.

આજકાલ મોટા ભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી, તેઓને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી, પણ તેઓના નામ ઉપર એ પ્રકારે લડવા અને મરવા તૈયાર રહે છે, જાણે કે તેઓ ઉપર ફકત તેમનો જ અધિકાર છે. તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ તેઓની સત્તા છે. બહાર ગમે  તેટલું પાપકર્મ કરો તો ભગવાન તે જોતા નથી. તેઓ સર્વવ્યાપક રૂપને તો જાણે કે ભુલાઈ જ દેવામાં આવ્યું છે. તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે, દરેક ઘડીએ તેઓ આપણી સાથે છે, સંસારના ખૂણેખૂણે તેઓની સાર્વભૌમ સત્તા છે, આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

પ્રભુના નામ અને તેઓના ગુણોનું ચિંતન કરતા રહો.